ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ: દિલ્હીથી કેનેડા જતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી, તપાસ દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05062024_064530_Air Canda.webp)
- 05 Jun, 2024
દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કેનેડાના ટોરન્ટો શહેરમાં જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો એક ઈમેલ મળતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતો. આ અંગેનો ઈમેલ એરપોર્ટને મંગળવારે રાતે 10.50 વાગ્યે મળ્યો હતો. આ મેલ મળ્યા પછીથી ફ્લાઈટમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર જ્યારે પ્લેનની તપાસ કરવામાં આવી તો ધમકી એક છેતરપિંડી હોવાનું બહાર આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) ઓફિસને મંગળવારે રાત્રે 10.50 વાગ્યે એક ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે દિલ્હી-ટોરોન્ટો એર કેનેડાની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
તેમણે જણાવ્યું કે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા જ ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની આ ફ્લાઈટમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા પછી અને સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા પછી, જ્યારે બોમ્બ મળ્યો ન હતો, ત્યારે તેને ટર્મિનલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો.
એક સપ્તાહમાં ઈન્ડિગો ફ્લાઈટ પર બોમ્બની આ બીજી ધમકી હતી. આ પહેલા 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળી હતી.આ ધમકીભરી નોંધ અંગે દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. શૌચાલયમાંથી મળેલી ચિઠ્ઠીમાં આ ધમકી આપવામાં આવી હતી. આ પછી તમામ મુસાફરોને પ્લેનના ઈમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરો ગભરાઈ ગયા અને પ્લેનમાંથી નીચે કૂદવા લાગ્યા.